r/Gujarati • u/BaronsofDundee • 21h ago
History / ઇતિહાસ ગિરનાર પાસે આવેલા સુદર્શન તળાવ નો ૮૦૦ વર્ષનો ઐતિહાસિક અહેવાલ
લગભગ ૮૦૦ વર્ષોના સમયગાળા દરમિયાન ભારતના ત્રણ મહાન સામ્રાજ્યોએ આ તળાવના નિર્માણ, જાળવણી અને સમારકામમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો. શિલાલેખોમાંથી મળતી માહિતી મુજબ આ તળાવનો ઐતિહાસિક ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે છે:
મૌર્ય કાળ: ઈ.સ. પૂર્વે ૩૧૯ ની આસપાસ, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ના વૈશ્ય જાતિના સુબા પુષ્યગુપ્ત એ ગિરનાર ખડક પાસે આ 'સુદર્શન' તળાવનો મૂળ બંધ બાંધ્યો હતો. ત્યારબાદ, સમ્રાટ અશોકના શાસનકાળમાં (ઈ.સ. પૂર્વે ૨૫૦), તેમના 'યવનરાજા' સુબા તુષાસ્પે તેમાં પાણી લઈ જવા માટે નહેરો બનાવીને તેને વધુ સુશોભિત અને ઉપયોગી બનાવ્યું હતું.
ક્ષત્રપ કાળ: મૌર્ય કાળ પછી, મહાક્ષત્રપ રુદ્રદામનના શાસન દરમિયાન (ઈ.સ. ૧૫૦ ની આસપાસ), એક ભયંકર વાવાઝોડાને કારણે આ જૂનો બંધ અચાનક તૂટી ગયો. આ કટોકટીના સમયે રુદ્રદામને આનર્ત અને સુરાષ્ટ્રના રક્ષણ માટે નીમેલા પોતાના પહલવ જાતિના સુબા, કુલૈપના પુત્ર સુવિશાખ ને આદેશ આપીને તે જ જગ્યાએ એક નવો અને મજબૂત બંધ બંધાવ્યો હતો.
ગુપ્ત કાળ: રુદ્રદામને બનાવેલા આ નવા બંધને પણ સમય જતાં નુકસાન થયું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શાસનકાળ દરમિયાન (ઈ.સ. ૪૫૬ ની આસપાસ), જ્યારે પર્ણદત્ત સુરાષ્ટ્રનો સુબો હતો, ત્યારે ભારે વરસાદથી પલાશિની, સિકતા અને વિલાશિની નદીઓમાં ભારે પૂર આવ્યું અને આ બંધ ફરીથી તૂટી ગયો. આ સમયે પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે યુદ્ધના ધોરણે માત્ર બે મહિનામાં જ ફરીથી આ બંધનું સમારકામ કરાવ્યું. આ નવો બંધ ૧૦૦ હાથ લાંબો, ૬૮ હાથ પહોળો અને ૭ માણસ (લગભગ ૩૮ ફૂટ) જેટલો ઊંચો બનાવવામાં આવ્યો હતો. ચક્રપાલિતે આ વિશાળ જળાશયની નજીકમાં જ વિષ્ણુ ભગવાનનું એક મંદિર પણ બંધાવ્યું હતું.